સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ

સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ

કોઈ વ્યક્તિ જો એમ કહે કે મારા જીવનમાં ક્યારેય દુઃખ આવ્યું જ નથી અને દુઃખ આવશે પણ નહિ અથવા તો એમ કહે કે સુખને હું મારા ખીસ્સામાં લઈને ફરું છું તો તે વાત કેટલી યોગ્ય ગણશો..??

જીવનમાં જો તમે માનો તો બધું સુખ જ છે અને ના માનો તો દુઃખ જ છે.દુનિયાનો કોઇપણ વ્યક્તિ હોય,સૌએ આ પરિસ્તિતિમાંથી વારંવાર પસાર થવું જ પડે છે અને સૌ પસાર થઇ પણ ચૂક્યા હોય છે બસ આ પરિસ્તિતિનો સામનો કઈ વ્યક્તિ કઈ રીતે કરે છે તે દરેક વ્યક્તિ પર આધાર રાખે છે.કારણ કે સુખ કે દુઃખ કાયમી નથી હોતું એ થોડા સમય માટે મહેમાન બનીને આવે છે.જો દુઃખનું તમે સ્વાગત કરો તો તે ઘર બનાવીને રહેવા લાગે અને સુખનું સ્વાગત ના કરો તો તે પણ ચાલ્યું જાય.

— Advertisement —



અમુક એવું વિચારે છે કે હંમેશા મારા પર જ કેમ દુઃખ આવે છે..? અને મારે એકલાએ જ દુઃખનો સામનો કેમ કરવો..? મારા પર દુઃખ છે તેવું બીજા કોઈ પર દુઃખ જ નથી અને આ દુઃખમાંથી બહાર નીકળવાના બદલે નાસીપાસ થઇ જાય છે.આ દુઃખમાંથી બહાર આવવાના બદલે તેનો ઉકેલ લાવવાના બદલે તેનાથી ભાગે છે અને તે દુઃખથી ભાગીને દુઃખમાં વધારો કરે છે.એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે અમુક વ્યક્તિ ગમે તેવા દુઃખદ પ્રસંગે અથવા ગમે તેવી કપરી પરિસ્તિતિમાં પણ પોતાના પર આવેલ આફતનો સામનો હસતાં હસતાં કરે છે અને તેના ચહેરા પરની એક પણ રેખા સહેજ ફરતી પણ નથી.આવા વ્યક્તિ પાસે દુઃખ લાંબો સમય રહેતું પણ નથી.
અમુક વ્યક્તિને એવી પણ આદત હોય છે કે તે વારંવાર ભૂતકાળને વાગોળ્યા કરે છે અને કેવા અણમોલ દિવસો જતા રહયા તેનો વારંવાર પસ્તાવો કરે છે અને અમુક વ્યક્તિઓ ભવિષ્યની ચિંતા કરીને સુખના પ્રસંગને પણ માણી શકતા નથી.આવા વ્યક્તિ દુનિયાના કોઈ પણ છેડે રહે તેને ક્યારેય કોઈ સુખી ના જ કરી શકે કારણ કે તેઓ ભૂતકાળની યાદમાં અને ભવિષ્યની ચિંતામાં આજની આ અણમોલ પળ ગુમાવી બેસે છે.

આજનો માનવી એ સમજવા તૈયાર નથી કે વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી સુખ અને દુઃખ એની સાથે એના અવિભાજ્ય અંગ તરીકે રહે છે.સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ જેવા છે.જો એ સમજી જાય કે દુઃખ છે એટલે જ સુખની કિંમત થાય છે તો જીવનમાં તે દુઃખનો સામનો કઈ રીતે કરવો અને સુખમાં વધારો કઈ રીતે કરવો તે સહેલાઈથી આવડી જાય.
આપણી પાસે છે એની કદર કરતાં શીખીએ.શું નથી તેની ચિંતા છોડીને આપણી પાસે શું શું છે તેનો મુક્ત મને આનંદ લેતા શીખીએ.જીવનમાં વાસ્તવિકતાથી ભાગવાના બદલે તેનો સામનો કરીએ.
જીવનમાં આવેલ આફતનો સામનો કરવાથી દુઃખ દૂર ચોક્કસ થશે કારણ કે દુનિયામાં પ્રશ્ન છે તો તેનું સામાધાન પણ છે જ.દુઃખ શારીરિક – માનસિક અને આર્થિકમાંથી કોઈપણ હોય શકે પણ કઈ રીતે એનો સામનો કરવો તે વ્યક્તિ પર આધાર રાખે છે.
કોઈના દુઃખમાં ભાગીદાર બનવું પણ ક્યારેય જાણ્યે અજાણ્યે નિમિત ન બનવું અને સુખનું કારણ બનજો ભલે ભાગીદાર ન બનો.

મિલન મહેતા – બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨

Leave a Reply